મુખ્યમંત્રીના હસ્તે પારસચંદ્રક અર્પણ કરાયો: ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન..

પારસ ફાઉન્ડેશન દ્વારા ૨૭મી મે, ૨૦૨૪ના રોજ અમદાવાદની હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત અને મુંબઈથી ૨૦૦થી વધારે સાહિત્ય સર્જકો પધાર્યા હતાં. મુખ્ય અતિથિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના વરદ હસ્તે નીચે જણાવેલ પાંચ શ્રેણીમાં પારસચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતાં. પ્રત્યેક શ્રેણીમાં સ્મૃતિચિહ્ન અને રૂ. ૨ લાખની ધનરાશી પુરસ્કાર રૂપે એનાયત કરવામાં આવી હતી.

શ્રેષ્ઠ સર્જક – પદ્ય : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
શ્રેષ્ઠ સર્જક – ગદ્ય : શ્રી વીનેશ અંતાણી
શ્રેષ્ઠ યુવા સર્જક પદ્ય : શ્રી ભાવેશ ભટ્ટ
શ્રેષ્ઠ યુવા સર્જક ગદ્ય : શ્રી રામ મોરી
સાહિત્ય સેવા : શ્રી મનીષ પાઠક
જાણીતા સાહિત્યકાર પદ્મશ્રીથી પુરસ્કૃત રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઇ, અને ભીખુદાન ગઢવી તથા શ્રી રાજેન્દ્ર શુક્લ, શ્રી જોરવારસિંહ જાદવ, શ્રી માધવ રામાનુજ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકોનું સન્માન કરવા માં આવ્યું હતું. આ આખો કાર્યક્રમ પારસ ફાઉન્ડેશનના સ્થાપક – શ્રી પારસ પટેલનાં ગુજરાતી સાહિત્ય અને ભાષા સેવાનાં સ્વપ્નથી સાકાર થયો. જેઓ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ઉમદા કવિ છે.